દિવાળી સુધી રાજ્યમાં શાળાઓ લૉક રહેશે: શિક્ષણમંત્રીનો સંકેત

હાલ કોરોના મહામારીને કારણે દેશના અનેક રાજ્યોમાં શાળાઓને જરૂરી દિશાનિદેશો સાથે ખોલી દેવામાં આવી છે. પણ હજુ સુધી ગુજરાતમાં હજુ સુધી શાળાઓ ખોલવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. તેવામાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને સંચાલકોના વેબિનારમાં શાળા ખોલવા અંગે મોટો સંકેત સામે આવી રહૃાો છે. દિવાળી બાદ રાજ્યમાં શાળાઓ ફરીથી ખૂલી શકે છે.

આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને શાળા સંચાલકો વચ્ચે શાળાઓને લઈ એક વેબિનારનું આયોજન થયું હતું. આ વેબિનારમાં ગુજરાતમાં શાળાઓ ખૂલવા અંગે મોટો સંકેત સામે આવ્યો છે. રાજ્યમાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં. દિવાળી વેકેશન પછી ધો. ૯થી૧૨નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત ગ્રામ્યમાં ધોરણ ૬થી૮નાં બાળકોને છૂટ આપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. એટલું જ નહીં, પણ દિવાળી વેકેશન પણ સરકાર દ્વારા ટૂંકાવી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ જતિન ભરાડે જણાવ્યું કે, પહેલા ચરણમાં ૯ થી ૧૨ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને પછી સ્થિતિ કાબૂમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા કરાશે.