સુરતના નાનપુરામાં મેકઅપ મેને બેકારી અને આર્થિક સંકડામણના કારણે કરી આત્મહત્યા

નાનપુરામાં મેકઅપ મેને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. છેલ્લા સાત મહિનાથી બેકાર પ્રદીપે આર્થિક મંદી અને માનસિક તણાવમાં ઝેરી દવા પીધા બાદ તેને સિવિલમાં દાખલ કરાયો હતો. રૂમમાં બંધ થઇ ઝેરી દવા પીનાર પ્રદીપે ચાર કલાક બાદ દરવાજો ખોલતાની સાથે જ કહૃાું મેં ઝેરી દવા પીધી છે પણ મારે જીવવું છે હોસ્પિટલ લઈ જાઉં કહેતા બનેવી ૧૦૮ની મદદથી સિવિલ લઈ આવ્યા હતાં. રાજુભાઇ (મરનારના બનેવી) એ જણાવ્યું હતું કે, પ્રદીપ અરવિદભાઈ દોષી ઉ.વ. ૩૦ (રહે ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટ ભાટિયા સ્ટ્રીટ નાનપુરા) મેકઅપના કામકાજ સાથે જોડાયેલો હતો.

જાન્યુઆરી ૨૦૨૦ મા જ લગ્નગ્રંથીથી જોડાયો હતો. જોકે ફેબ્રુઆરીમાં મહામારી બાદ લાગેલા લોકડાઉનમાં કામકાજના ઓર્ડર આવતા બંધ થઈ ગયા હતા. આવતી કાલે કામ મળશે એની આશામાં ૭ મહિનાથી સુધી આર્થિક ભીંસ વચ્ચે જીવનના કપરા દિવસો કાઢતા પ્રદીપે આખરે હતાશ થઈ રવિવારની સવારે પોતાના જ ઘરના રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી ઝેરી દવા પી લીધી હતી. પ્રદિપના રૂમમાંથી દુર્ગંધ આવતા માતાએ દરવાજો ખટખટાવી ખોલવા અનેક વિનંતી કરી હતી. જોકે પ્રદીપે દરવાજો ન ખોલતાં મને (રાજુભાઇ) બોલાવવામાં આવ્યો હતો. ઘરમાં પ્રવેશ કરતા જ મેં પ્રદીપને દરવાજો ખોલવા જણાવ્યું હતું.

તેણે દરવાજો ખોલી મને કહૃાું મેં ઝેરી દવા પી લીધી છે મારે જીવવું છે. મને હોસ્પિટલ લઈ જાઉં એટલે મેં તરત જ ૧૦૮ ને ફોન કરી પ્રદીપને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. પ્રદીપની પત્ની દોઢ મહિનાથી પિયરે ગઈ છે. એને આ બાબતની જાણ કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રદીપ ખૂબ જ મહેનતુ અને ગુસ્સાવાળો પણ હતો. જોકે આખા પરિવારની જવાબદારી ઉપાડવાથી ભાગતો ન હતો. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.