રાજ્યમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા પર ભાર

શિક્ષણમંત્રી ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મળી પરામર્શ સમિતિની બેઠક

કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય અને ડ્રોપ આઉટ રેટ ઘટે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. વર્ગ મર્જરથી શાળા બંધ થવાની બાબતની ગેરસમજ દૃૂર કરતાં તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકી શિક્ષણ નીતિ મુજબ વિધાર્થીઓની સંખ્યા અને શિક્ષકોનું મહેકમ અંગેની સ્પષ્ટતા આજે મળેલી પરામર્શ સમિતિ નંબર- ૪ની બેઠકમાં રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મળેલી પરામર્શ સમિતિ નંબર-૪ની બેઠકમાં એક પ્રશ્ર્નનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે ,કોરોના કાળ દરમ્યાન બાયાસેગ મારફત ચેનલ ડી.ડી. ગિરનાર પર બાળકોને શૈક્ષણિક અભ્યાસનો મહાવરો સતત જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરીને સમયનો સદઉપયોગ કર્યો છે.

ધોરણ- ૧થી ૮ માટે મટીરીયલ્સ મોકલી કુટુંબની સલામતી અને માતા-પિતાની હુંફ સાથે ગમત સાથે જ્ઞાન આપવા તા. ૨૫ માર્ચથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જેઇઇ અને એનઆઈટી માં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા ફી ભરવી પડતી હતી. જેનું વિના મૂલ્યે માર્ગદર્શન મળ્યું છે. આ પરામર્શ સમિતિની બેઠકમાં સાંસદ રમેશ ધડુકના ૩૩ પ્રશ્ર્ન તથા ધારાસભ્ય સર્વે હિંમતસિંહ પટેલના ૧૫ પ્રશ્ર્નો, જગદૃીશ પટેલના ૧૬ પ્રશ્ર્નો અને સંજય સોલંકીના ૪ પ્રશ્ર્નો મળી કુલ ૬૮ પ્રશ્ર્નો રજૂ થયા હતા.

જૈ પૈકી બેઠકમાં ઉપસ્થિત સાંસદ હસમુખ પટેલ અને ધારાસભ્ય સર્વે જીજ્ઞેશ સેવક, કનુ દેસાઇ, સંજય સોલંકી, બાબુ બોખરિયા, શિવા ભૂરિયા અને બળદેવજી ઠાકોરના પ્રશ્ર્નનો પરામર્શ કરી સંતોષકારક ઉત્તરો પાઠવ્યા હતા. આ પરામર્શ બેઠકમાં રાજય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ, ગૌ સંવર્ધન સચિવ નલીન ઉપાધ્ય સહિત સંબંધિત વિભાગના સચિવો અને ખાતાના વડાઓએ ઉપસ્થિત રહીને પરામર્શ બેઠકમાં ભાગ લીધો હતો.