પુત્રવધુએ સાસુના માથામાં લોખંડની રોડ મારી હત્યા કરતા વિસ્તારમાં ચકચાર

SaurshtraKranti logo

રાજ્યમાં અનલોક બાદ ગુનાઓનું પ્રમાણ વધી રહૃાું છે. ત્યારે આજે અમદાવાદમાં પુત્રવધુએ સાસુની ઘરમાં જ કરપીણ હત્યા કરી નાંખવાની ધ્રુણાસ્પદ ઘટના સામે આવી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સની આ ઘટના છે. જેમાં ઘરમાં પુત્રવધુએ સાસુના માથામાં લોખંડની રોડ મારી પહેલા કરપીણ હત્યા કરી હતી, ત્યારબાદ સાસુની લાશ સળગાવી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી નિકીતા અગ્રવાલની ઘરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા જાણવા મળી રહૃાું છે કે પુત્રવધૂના લગ્નને હજુ ૧૦ મહિના જ થયા હતા, તેવામાં ઘરમાં સાસુ-વહૂ વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જેમાં આ ઘટનાને અંજામ અપાયો છે. સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સ સોસાયટીમાં આજે એક મોટી ઘટના બની છે. સોલા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સમાં પુત્રવધુએ તેના જ ઘરમાં સાસુની કરપીણ હત્યા કરી નાંખી હોવાની માહિતી પોલીસને મળી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પહોંચી હતી, અને ઘરની અંદર લોહીથી લથપથ હાલતમાં અને દિવાલો પર લોહીના છાંટાઓ જોઈને પોલીસ ચોંકી ગઈ હતી. સાસૂની લાશ વિકૃત અવસ્થામાં પડી હતી. તેનું માથુ સળગી ગયેલી હાલતમાં હતું.

આ ઘટના ગઈકાલે મોડી રાતે (મંગળવારે) બની હતી. સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી કલાકોમાં જ પુત્રવધુની અટકાયત કરી લીધી હતી. આ ઘટનામાં ભોગ બનનાર મૃતક રેખાબેન અગ્રવાલને પુત્રવધૂએ ઘરના ઝઘડામાં આવેશમાં આવી જઈને માથામાં લોખંડનો રોડ માર્યો હતો, ત્યારબાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પુત્રવધુ નિકીતા અગ્રવાલની સોલા પોલીસે પુછપરછ હાથ ધરી હતી. તેમાં પ્રાથમિક પુછપરછમાં લગ્નને ૧૦ મહિના થયા છે અને ઘરમેળના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.