ઉકાળાનું વધુ પડતુ સેવન શરીરમાં બીજી અનેક તકલીફો પેદા કરી શકે છે: તબીબોનું તારણ

કોરોનાએ લોકોને હેલ્થ પ્રત્યે જાગૃત બનાવી દીધા. તેમજ આર્યુવેદિક ઉપચાર તરફ પણ વાળી દીધા. ગરમ પાણી, ઉકાળા, કસરત, નાસ વગેરે લોકોના રુટિનનો જ એક ભાગ બની ગયો છે. લોકો હવે નિયમિત આ બાબતો કરતા થઈ ગયા છે. તેમાં પણ ઉકાળા લેવાનું પ્રમાણ વધી ગયું છે. ઉકાળાના અનેક ફાયદા છે. તમારા આંતરડાને સાફ રાખવા ઉકાળો બહુ જ ફાયદેમંદ સાબિત થાય છે. પરંતુ આ જ ઉકાળા માટે એક નેગેટિવ સમાચાર પણ સામે આવ્યા છે. ઉકાળાનું સતત સેવન કરતા લોકો માટે તબીબોએ ખાસ ચેતવણી આપી છે. કોરોનાથી બચવા ઉકાળાનું સેવન કરતા લોકોએ ચેતી જવાની જરૂર છે. કારણ કે, ઉકાળાનું વધુ પડતુ સેવન શરીરમાં બીજી અનેક તકલીફો પેદા કરી શકે છે તેવુ તબીબોનું કહેવું છે.

ખાસ કરીને કેન્સરને આમંત્રણ આપી શકે છે. કોરોનાના ડરથી ઇમ્યુનિટી બુસ્ટ કરવા લોકોએ ઉકાળા અને જુદા જુદા ગરમ પીણાંનો સહારો લીધો છે. પરંતુ સામાન્ય કરતા વધુ ઉકાળો પીતાં લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જરૂર કરતાં વધારે ઉકાળા કે ગરમ પીણાંનું સેવન કેન્સરને આમંત્રણ આપી શકે છે. વધુ પડતા ઉકાળા કે ગરમ પીણાંના સેવનથી અન્નનળીનું કેન્સર, મોઢામાં ચાંદૃા પડવા, અન્નનળીમાં ચાંદા અને હોજરીમાં ચાંદા પડવા જેવી સમસ્યા નોતરી શકે છે.

આ વિશે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. શશાંક પંડ્યા જણાવે છે કે, અન્નનળીની અંદરના લેયરમાં વધુ પડતા ઉકાળા કે ગરમ પીણાંના સેવનથી બદલાવ આવે છે, જેના કારણે કેન્સર થવાની શક્યતા રહે છે. કોરોનાથી બચવા સતત ઉકાળા કે કોઈ ગરમ પીણાંનું સેવન કર્યું હોય તો ખાસ ચેતી જવાની જરૂર છે. જેમને એસીડીટીની અમસ્યા, ખાવા પીવામાં તકલીફ પડતી હોય, ખાધા બાદ ઉલટી થતી હોય, ખોરાક ખાતી વખતે ફસાતો હોય અથવા પાણી પીધા બાદ જ ખોરાક ઉતરતો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તબીબો મુજબ ઉકળા અને ગરમ પીણાંનું સેવન સતત થતું રહેશે તો ભવિષ્યમાં કેન્સરના કેસો વધવાની શક્યતા રહેશે.