કચ્છમાં તનિશ્કના શોરૂમ પર ભીડનો હલ્લાબોલ, મેનેજરે માફીપત્ર મૂકવો પડ્યો

પ્રખ્યાત બ્રાન્ડ તનિષ્કની નવી એડવર્ટાઝમેન્ટમાં એક હિન્દૃુ યુવતી અને મુસ્લિમ યુવક સાથે લગ્ન બતાવ્યાં છે જેને પરિવાર પહેલાં અપનાવતું નથી પણ જ્યારે યુવતી ગર્ભવતી થાય છે ત્યારે તેને પરિવાર દ્વારા અપનાવી લેવામાં આવે છે. આ એડવર્ટાઇઝમેન્ટને લવ જેહાદ સાથે જોડવામાં આવી છે અને તેનો વિરોધ કરવામાં આવી રહૃાો છે. આ વિરોધના વંટોળ પછી તનિશ્ક દ્વારા આ એડને સત્તાવાર રીતે પાછી ખેંચવામાં આવી અને એક ખુલાસો પણ આપવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાના પડઘાં આખા દેશ સાથે રાજ્યના કચ્છમાં પણ પડ્યા છે.

ગઈકાલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિશ્કના શો-રૂમમાં સામાજિક કાર્યકર પોતાની રજૂઆત કરવા ગયેલા હતા અને તેમણે શોરૂમ સંચાલકો પાસે માફીની માંગણી કરાવી હતી. જોકે, તેમનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જે સામાજિક કાર્યકર છે તે સામજીભાઈ આહિર હોવાની વિગતો બહાર આવી છે. જોકે, શામજી ભાઈ આહિરના વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં કચ્છ શોરૂમમાં તોડફોડ થઈ હોવાના મેસેજ વાયરલ થયા હતા. આ મામલે શામજી ભાઈ આહીરે જણાવ્યું હતું કે ’શોરૂમમાં જઈને ફક્ત રજૂઆત કરી હતી. તોડફોડ નથી કરી અને એવી કોઈ ઘટના ઘટી નથી.

આ મામલે કચ્છના પોલીસ વડાએ જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના ઘટી નથી અને તોડફોડનો કોઈ મામલો નથી. જોકે, અફવાઓનું બજાર ગરમ રહૃાું હતું. આ મામલે તનિશ્ક કંપનીએ રાષ્ટ્રીય સ્તરે પોતાનો ખુલાસો આપ્યો છે પરંતુ કચ્છમાં તેના પડઘાં પડ્યા બાદ શોરૂમના મેનેજમેન્ટ બહાર એક માફી આપતો ખુલાસો મૂક્યો છે. આ મામલે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે દેશમાં ઇન્ટરનેટ બે ભાગમાં વહેચાઈ ગયું છે.