સુવિધા:ધોરાજીમાં પોઝિટિવ આંક 800ને પાર, લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં 100 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ખુબ જ વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંક 800ને પાર પહોંચી ગયો છે. જેથી ખોડલધામ સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં લોકો માટે 100 બેડ ધરાવતી કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ધોરાજીમાં કોરોનાનો વિસ્ફોટ થતાં દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાઇ રહ્યાં છે. જેના કારણે સંકમણ વધી રહ્યું છે. જેથી તેને અટકાવવા માટે ખોડલધામ સમિતિ દ્વારા 100 બેડનું કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ વ્યવસ્થા કરાઈ
હાલની પરિસ્થિતિમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી અને જગ્યાનાં અભાવે તમામ દર્દીઓને દાખલ કરવાનું શક્ય ન હોય, જેથી કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવે છે. જેથી કોરોના સંક્રમણને રોકી શકાય. પરંતુ પરિવારના સભ્યોને જોખમ ઉભું થતાં 100 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

હેલ્થ વિભાગની ટીમ દિવસમાં બે વખત રૂબરૂ મુલાકાત કરશે
દાખલ થનાર તમામ દર્દીને સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું, તેમજ બે ટાઈમ ચા, પાણી, હળદરવાળું દૂધ, પીવા માટેનું ગરમ પાણી, ગરમ ઉકાળો અને નાસ લેવા માટે ઇલેકટ્રીક મશીન ખોડલધામ સમિતિ દ્વારા તમામ વિનામૂલ્યે આપવામાં આવશે. હેલ્થ વિભાગની ટીમ દિવસમાં બે વખત રૂબરૂ મુલાકાત કરશે. આ સાથે જ જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.