વડોદરા કિશોરી દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો
વડોદરાના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયે એક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવા મામલે દરરોજ અલગ અલગ ખુલાસા થઈ રહૃાા છે. આ મામલે પોલીસે પ્રશાંતની શિષ્યાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન શિષ્યા દિશા ઉર્ફે જોન સચદેવે એવી કબૂલાત કરી છે કે તેણે પીડિતાને પ્રશાંત ઉપાધ્યાયના રૂમમાં મોકલતી હતી. ધરપકડ બાદ પોલીસે દિશાનો મોબાઇલ ફોન પણ કબજે લીધો છે. હવે આ મામલે દુષ્કર્મના આરોપી પ્રશાંત ઉપાધ્યાયની જેલમાંથી ટ્રાન્સફર વૉરંટના આધારે ધરપકડ કરવામાં આવશે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. જે સમયે દુષ્કર્મ થયું હતું ત્યારે પીડિતા સગીર વયની હોવાથી પોલીસે પોક્સોની કલમ પણ લગાવી છે.
બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે એક કિશોરી પર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ કેસમાં પાખંડી પ્રશાંતની સેવિકા દિશાએ અનેક ખુલાસા કર્યાં છે. દિશાએ કબૂલાત કરી છે કે તેણી જ પીડિતાને પ્રશાંતના રૂમમાં મોકલતી હતી. એટલું જ નહીં જ્યારે પીડિતાનુ શોષણ થતું હતું ત્યારે તેણી ચૂપ રહેતી હતી. એવી પણ માહિતી મળી છે કે દિશા તાંત્રિક પ્રશાંતથી એટલી પ્રભાવિત હતી કે, પ્રશાંત તેનું શારીરિક શોષણ કરતો હતો તો પણ તે કંઈ બોલતી ન હતી. એટલું જ નહીં, તેણી છેલ્લા ૧૨ વર્ષથી પ્રશાંત સાથે રહેતી હતી. દિશા પ્રશાંત કહે તેમ કરતી હતી, ક્યારેય કોઈ સવાલ પણ કરતી ન હતી.
પાખંડી પ્રશાંતે પોતાના દયાનંદ પાર્ક ખાતેના આશ્રમમાં રહીને સેવા કરતા કિશોરી પર ૨૦૧૩થી ૨૦૧૭ના વર્ષ દરમિયાન ૧૨ વખત દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કિશોરીએ કર્યો છે. આ ઉપરાંત પ્રશાંતે તેણીનો વીડિયો ઉતાર્યો હોવાનો દાવો પણ કિશોરીએ કર્યો છે. પીડિતાનો આક્ષેપ છે કે દિશા આ તમામ વાતોથી વાકેફ હતી. દિશા ઉપરાંત અન્ય શિષ્યા દીક્ષા અને ઉન્નતી જોશી પણ આ વિશે જાણતી હોવાનો કિશોરીનો દાવો છે.