નવરાત્રિ અંગે તબીબોનો મત:ગરબાનું આયોજન ન કરવા રાજકોટના તબીબોની અપીલઃ જો ખેલૈયા પોઝિટિવ આવશે તો અમે ટ્રીટમેન્ટ નહીં કરીએ

નવરાત્રિ યોજાશે તો રાજકોટમાં કોરોનાનો વિસ્ફોટ થશે
ડોક્ટર સત્યમ વિસપરાએ જણાવ્યું હતું કે નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ. જો આયોજન થશે તો દિવાળી સુધીમાં ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટમાં કોરોનાનો એક મોટો વિસ્ફોટ થશે. નવરાત્રિનું આયોજન ન થાય એ માટે સરકારે વિચારવું જોઈએ. જો કોઈ ખેલૈયા કોરોના સંક્રમિત થશે અને ટ્રીટમેન્ટ માટે આવશે તો હું તેમની ટ્રીટમેન્ટ નહીં કરૂ, કારણ કે જાણીજોઈને તમે કોરોનાની પરિસ્થિતિ ઊભી કરી છે, તો તેની સારવાર કરવી યોગ્ય નથી.

ગરબા યોજાશે તો કોરોનાનું જોખમ વધી જશે
કાન, નાક અને ગળાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિમાશું ઠક્કરે લોકોને અપીલ કરતાં કહ્યું છે કે નવરાત્રિનું આયોજન થવું ન જોઈએ. નવરાત્રિનું આયોજન થશે તો ખૂબ જ જોખમ વધી જશે. અત્યારે રાજકોટમાં ખૂબ જ કેસ વધી રહ્યા છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક તબીબો પણ સંક્રમિત થઈ ગયા છે. મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ ગયા છે. હવે જો નવરાત્રિનું આયોજન થશે તો કોરોનાના કેસની સંખ્યા વધશે. અત્યારે કોરોના કેસ સંભાળવામાં પણ તકલીફ થઈ રહી છે. તો આ તકલીફ વધશે અને જોખમ પણ વધશે. નવરાત્રિ કરવાથી સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય અને સંક્રમણ વધશે. જે લોકો નવરાત્રિ યોજવા માટે અપીલ કરે છે તેમને પણ સમજવું જોઈએ. નવરાત્રિ તો આવતા વર્ષે પણ આવશે. એટલે આપણા પરિવાર અને સમાજ માટે વિચારો. મારી લાલબત્તી તરીકે અપીલ છે કે નવરાત્રિ યોજાવી ન જોઈએ.

રાજકોટમાં હાલ ગંભીર સ્થિતિ છે તો નવરાત્રિની છૂટ ન આપવી જોઈએ
અથર્વ હોસ્પિટલના ડોક્ટર ગૌરાંગ જોષીએ જણાવ્યું હતું કે નવરાત્રિના આયોજન માટે સરકાર છૂટછાટ આપવાની વિચારણા કરી રહી છે, પણ રાજકોટમાં હાલ કોરોનાની ગંભીર પરિસ્થિતિ છે. જો આવા સંજોગોમાં નવરાત્રિ માટે છૂટ આપવામાં આવશે તો રાજકોટ અને ગુજરાત માટે આવનારા દિવસો ખૂબ જ કપરા રહેશે, કારણ કે કોરોનાનું સંક્રમણ હવે ઘર ઘર સુધી પહોંચી ગયું છે. અત્યારે ડોક્ટરો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. જેથી હું વિનંતી કરું છું કે રાજ્ય સરકાર ફરી વિચારણા કરી નવરાત્રિ કેન્સલ કરવાની જાહેરાત કરે. કોઈપણ રીતે નવરાત્રિનું આયોજન હિતાવહ નથી.

રાજકોટ સાઉન્ડ એસોસિયેશને ચીમકી ઉચ્ચારી હતી
રાજકોટમાં કોરોનાની મહામારીને કારણે સરકાર નવરાત્રિની મંજૂરી આપવી કે નહીં એ અંગે દ્વિધામાં છે. રાજકોટના તબીબો પણ સરકારને નવરાત્રિની મંજૂરી ન આપવા અપીલ કરી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ રાજકોટ સાઉન્ડ એન્ડ લાઈટ સ્ટેજ ઓનર્સ એસોસિયેશને આ વર્ષે સરકાર નવરાત્રિની મંજૂરી નહીં આપે તો આગામી ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને સાઉન્ડ ન આપવા ચીમકી ઉચ્ચારી હતી.

રાજકોટના મોટા આયોજકો દ્વારા આયોજનો રદ કર્યાં
રાજકોટમાં અર્વાચીન રાસ-ગરબાના મોટા આયોજકોએ આ વર્ષે પોતાનાં આયોજનો રદ કર્યાં છે. સહિયર ગ્રુપ, સરગમ ક્લબ, જૈન વિઝન, સૂરભિ ગ્રુપ, ખોડલધામ સહિતનાં મોટાં આયોજનો આ વર્ષે કોરોનાની મહામારીને કારણે રદ કરવામાં આવ્યાં છે.