રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે સ્કૂલો નહીં ખૂલે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત

કોરોના મહામારીને કારણે હાલ ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્કૂલો ચાલુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. પરંતુ આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP હમણાં જાહેર થઇ છે. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં મરજીયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ધોરણ 9 થી 12માં મરજીયાત વાલી મંજૂરી સાથે બાળકને સ્કૂલે જવાની જોગવાઈ છે. જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે.રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં.હાલની પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘હોમ-લર્નીગ’ તથા ‘ઓનલાઈન’ શિક્ષણ કાર્ય જે ચાલુ છે તે યથાવત રહેશે.પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જ નિર્ણય લેવાશે.

ભૌતિક રીતે ભેગા થવાથી સંક્રમણનો ભય રહેતો હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભે આજે ચર્ચા વિચારણા બાદ મીડિયાને માહિતી આપતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું રહેશે નહીં. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ SOP અનુસાર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુ માટે માતા-પિતાની લેખિત સંમતિ સાથે શાળાએ જઈ શકશે. આ કેન્દ્રની SOPનો અમલ કરવો રાજ્યો માટે મરજીયાત છે તથા રાજ્ય સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ આ કેન્દ્રની SOPની અમલવારીનો નિર્ણય કરવાનો રહેશે તેમ પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવાયું છે. આ સંજોગોમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી નિર્ણય કર્યો છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભૌતિક રીતે ભેગા થવાથી સંક્રમણનો ભય રહેતો હોઈ અભ્યાસના માર્ગદર્શન માટે શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં.

માતા-પિતાની મંજૂરી લઈ માર્ગદર્શન માટે સ્કૂલે જવાની પરવાનગી માટે કેન્દ્રની SOPનો અમલ કરાશે
આ નિર્ણય અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે કહ્યું કે ધોરણ 9 થી 12 માટે કેન્દ્રની SOP માર્ગદર્શિકા મરજીયાત હતી અને અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર રાખવામાં આવ્યો હતો. માતા-પિતાની મંજૂરી મેળવીને માર્ગદર્શન માટે શાળાએ જવાની પરવાનગી માટે કેન્દ્રની SOPનો અમલ કરાશે. કેન્દ્ર સરકારે SOP માટે રાજ્યોને છૂટ આપી હતી. 21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર મળશે. આ ચોમાસુ સત્ર 5 દિવસનું રહેશે. તેમજ સત્રમાં 24 સરકારી વિધેયક રજુ કરાશે. તમામ ધારાસભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

બે દિવસ પહેલા સ્કૂલો ક્યારથી શરૂ કરવી તેની ચર્ચા કરી હતી
જ્યારે બે દિવસ પહેલા રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ પર ચર્ચા માટે મળેલી બેઠકમાં સ્કૂલો ક્યારથી શરૂ કરવી તેની ચર્ચા કરી હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, સ્કૂલો દિવાળી સુધી બંધ રાખવી કે નહીં તે હાલ નક્કી નથી. 21મીથી સ્કૂલમાં માત્ર માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને બોલાવવા અને બોલાવવા તો કઇ રીતે બોલાવવાનો તેનો નિર્ણય સરકાર ચાલુ સપ્તાહે કરશે. જેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે.

અઠવાડીયા પહેલા કેન્દ્રએ ધો.9થી 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા મંજૂરી આપી હતી
આ અંગે અઠવાડીયા પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધોરણ 9થી ધોરણ 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી હતી. જેને પગલે 21 સપ્ટેમ્બરથી વર્ગોમાં અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે મંત્રાલયે કહ્યું હતું કે- શાળા પોતાને ત્યાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.

16 માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ
આ પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ 6 મહિનાથી સ્કૂલો બંધ છે.

શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવા વિચારણા
હવે, જો દિવાળી બાદ સ્કૂલ શરૂ થાય તો એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશકય બનશે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એ સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. અભ્યાસના કેટલા દિવસો વિદ્યાર્થીઓને મળે છે એના આધારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે હાલમાં નિર્ણય લઈ શકાય તેમ નથી. સ્કૂલો શરૂ થયા બાદ અભ્યાસના બાકી રહેતા દિવસોના આધારે એ નક્કી કરાશે.

70 ટકા વાલી કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નથી
રાજ્યની અગ્રણી સ્કૂલોના સંચાલકોના દાવા પ્રમાણે 70 ટકાથી વધુ વાલી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. કોરોનાની વેક્સિન ન આવે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવાનો મત છે. સ્કૂલ સંચાલકો પણ ઉતાવળે સ્કૂલો શરૂ કરીને કોઈ રિસ્ક લેવા માંગતા નહોતા. 21 સપ્ટેમ્બરથી ધો.9થી 12ના બાળકોને સ્કૂલ બોલાવવાના મુદ્દે વાલીઓનો મત સ્પષ્ટ છે. મોટાભાગની સ્કૂલોએ વાલીઓને સોશિયલ મિડીયાના માધ્યમથી પૂછ્યું હતું કે તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે કે નહીં? જેના જવાબમાં મોટાભાગના વાલીઓએ ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવા જણાવ્યું છે. અગ્રણી ખાનગી સ્કૂલોના સંગઠનના પ્રેસિડેન્ટ અર્ચિત ભટ્ટે જણાવ્યું હતું કે, વાલીઓ કોરોનાની રસી આવ્યા બાદ જ સ્કૂલો શરૂ કરવાની તરફેણમાં છે. ઘણી સ્કૂલો ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને ગાઇડન્સ અને અઘરા મુદ્દા સમજાવશે. પરંતુ તે પણ વાલી મંજૂરી આપશે તો.