માગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવા તિસ્તા શેતલવાડ, શબનમ હાશ્મી, પ્રો. હેમંતકુમાર શાહ તથા ફાધર ફેડ્રીક પ્રકાશ સહિત 8 મૃતકોના પરિવારજનોએ માંગ કરી છે.

514 વ્યક્તિની સહીવાળા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઘટના સમયે હોસ્પિટલના સીસીટીવી કામ કરતા નહતા એટલું જ નહીં આગ બુઝાવવાના સાધનો આઈસીયુમાં હતા નહીં તેમજ સ્ટાફને પણ આગના સમયે બચાવ કામગીરીની ટ્રેનિંગ અપાઈ નહતી. આશ્ચર્યજનક રીતે ભયંકર આગ કે જેમાં દર્દીઓ 80 ટકા જેટલી દાઝી ગયા હતા તે કમભાગી લોકોના મોબાઈલ ફોનને આગની અસર જ થઈ નહતી. તેમાંથી અમુકની તો રીંગ વાગતી રહી હતી. આ ઉપરથી એવી આશંકા છે કે, દર્દીના ફોન આઈસીયુમાંથી હટાવી લેવાયા હતા જેથી તેઓ આગના કારણે કોઈને ફોન કરી ન શકે.

હોસ્પિટલ મેનેજમેન્ટ ફાયર સેફટીના સાધનો નહીં રાખી ગંભીર પ્રકારની બેદરકારી દાખવી હતી. ત્યારબાદ હોસ્પિટલના વર્ગ ચારના બે કર્મચારીઓની ધરપકડ કરાઈ જેઓ આઈસીયુમાં ફરજ પર હતા. સત્તાવાળા પોતાની જવાબદારીમાંથી છટકી નાના કર્મચારીઓ પર દોષનો ટોપલો નાખવાનો પ્રયાસ કરે છે.