નીકિતા હત્યા કેસ: કંગના રનૌતે ફરી બોલિવૂડ પર ઠાલવ્યો ગુસ્સો

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના બેબાક નિવેદનોને લઈને સતત વિવાદમાં રહે છે. ત્યારે આજે ફરી એક ટ્વિટ કરીને વિવાદનું કેન્દ્ર બની છે. જી હાં ફરીદાબાદના બલ્લભગઢના નીકિતા તોમર હત્યાકાંડે આખા દેશને હચમચાવી નાખ્યો છે. ૨૬ ઓક્ટોબરે તૌસીફ નામના આરોપીએ નીકિતાને કોલેજની બહાર જ ગોળી મારી દીધી હતી.

આ હચમચાવી નાખનારી ઘટના સીસીટીવી માં કેદ થઈ અને તેની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે જે ચોંકાવનારા સમાચાર આવ્યા છે તે મુજબ આરોપીએ નીકિતાને મારવાનું ષડયંત્ર વેબસિરીઝ મિર્ઝાપુર જોઈને રચ્યું હતું. આ મામલે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતએ આક્રોશ ઠાલવ્યો છે. મિર્ઝાપુરમાં મુન્નાભૈયા (દિવ્યેન્દુ શર્મા) પણ એકતરફી પ્રેમમાં પાગલ થઈને એક યુવતી સ્વિટી (શ્રેયા પિલગાંવકર)ને ગોળી મારી દે છે.

ત્યારબાદ તેનું મોત થઈ જાય છે. સિરીઝનો આ સીન જોઈને આરોપી તૌસીફ પણ પ્રેરિત થયો અને તેણે નીકિતાને ગોળી મારી દીધી. તે પણ નીકિતા સાથે લગ્ન કરવા માંગતો હતો. આ પ્રકારના અહેવાલ સામે આવ્યા બાદ અભિનેત્રી કંગના રનૌતે બોલીવુડ પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ એકવાર ફરીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે. કંગનાના જણાવ્યાં મુજબ બોલીવુડે અપરાધના ગુણગાન કર્યા છે.