દિવાળી પૂર્વે કચ્છમાં વધી ગાયના ગોબરના દીવાની માગ

દેશમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર થઇ રહૃાો છે. આ દરમિયાન લોકો ચાઇનીઝ લાઇટ ન વાપરીને ઘરને દીવાથી સજાવે તેનોપણ એક વિચાર પ્રજવલિત થઇ રહૃાો છે. ચાઈનીઝ દીવાડાના બહિષ્કાર સાથે કચ્છમાં ૭૫,૦૦૦ ગોબરના દીવડા વેચાય છે. આ સાથે હવે દરરોજ ૧૫૦૦થી ૨૦૦૦ દીવડાની માંગ આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક લોકોને આ સંબંધિત રોજગારી પણ મળી રહી છે.

તો આજે આપણે ભુજનાં એક ગામની વાત કરીશું. ભુજ તાલુકાના કુકમા ગામે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગૌસંવર્ધન અને ગૌ પ્રોડક્ટને પ્રોત્સાહન આપવામાં આવે છે,ત્યારે ચાલુ વર્ષે ૨૫,૦૦૦ દીવડા બનાવી તેનું વેચાણ પણ કરી દેવાયું છે, તેમ મેનેજીંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, કામધેનુ દિવાળીનો પ્રયોગ કરાયો છે જેને લઈને ખુબ લોકજાગૃતિ થઇ છે.

ગાયના ગોબરના દીવડાની ખૂબ મોટી ડિમાન્ડ આવી હતી. અત્યાર સુધી રામકૃષ્ણ ટ્રસ્ટ્માં ૨૫,૦૦૦ દીવડાનું નિર્માણ કરી વેચાણ કરી દેવાયું છે. હજુ દરરોજ ૧૫૦૦-૨૦૦૦ દીવડાના ઓર્ડર આવે છે. અંજારમાં મેઘજીભાઈ હિરાણીએ પણ ૫૦,૦૦૦ દીવડા નિર્માણ કરીને વેચી નાખ્યા છે. રામકૃષ્ણ ટ્રસ્ટના ગોબર દીવડા પાછળનો હેતુ જોઈએ તો,ચાઈનીઝ ફટાકડામાં ધુમાડો કરવાની જગ્યાએ ગોબરનો દીવડો પ્રજવલ્લિત કરીને ઘી નાખીને તેનો ધુમાડો વાતાવરણ શુદ્ધ કરવાનો હેતુ રહેલો છે.

આ ઉપરાંત ચાઈનીઝ દીવડા કે સિરીઝથી જગમગાટ કરવાના બદલે રામજન્મભૂમિ પછી પહેલી દિવાળી ખરેખર સાર્થક રીતે ગોબરના દીવડાથી ઉજવાશે, જે આપણી સંસ્કૃતિ રહી છે.આ સાથે જ કોરોના મહામારી વચ્ચે સ્થાનિક કારીગરોને મોટી રોજગારી પણ પ્રદાન થશે.