ડુમસ બિચ પર શનિ-રવિ ફરવા પરનો પ્રતિબંધ ઉઠાવવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

કોરોના મહામારીને લઈને મહાનગરપાલિકા દ્વારા શનીવાર અને રવિવારે ડુમસ બીચ પર ફરવા જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી પોલીસ કાફલો ડુમસ જતા સહેલાણીઓને પરત તેમના ઘરે મોકલી દે છે. આવા સંજોગોમાં ડુમસ બિચ પર ધંધો રોજગાર કરતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી દરિયા કિનારે વેપાર ધંધો કરતાં લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. હજારથી વધુ લોકોને બીચ પર રોજગારી મળી રહે છે. તેવા સંજોગોમાં પ્રતિબંધના પગલે લોકો કામ ધંધા વિહોણા થઈ ગયા હોવાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને પોતાની હાલાકી રજૂ કરી છે.

કોરોનાની મહામારીને લઈને મનપા તંત્ર દ્વારા શનિ અને રવિવારે ડુમસ બીચ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને લઈને ડુમસ ચોપાટી વેપારી મંડળે આવેદન પત્ર આપ્યું છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, ડુમસ એકમાત્ર હવા ખાવાનું જાહેર પર્યટક સ્થળ છે અને અહી સુરતીઓ શની અને રવિવારે પોતાના પરિવાર સાથે હરવા ફરવા આવે છે. પરંતુ શની અને રિવવારે પ્રતિબંધ મૂકી દેવામાં આવતા તેઓને ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ રહૃાું છે.

બીચ નજીક ૨૦૦થી વધુ મહિલાઓ ફળ, મકાઈ અને કોલ્ડ્રીંક્સ વેચી ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત હજારથી વધુ લોકો અહીં રોજગારી મેળવી રહૃાા છે. લારી, હોટલ, ઘોડે સવારી, ઊંટ સવારી કરાવતા લોકોની રોજગારી પર આ પ્રતિબંધને લઈને અસર જોવા મળી રહી છે. જેથી તાત્કાલિક ધોરણે અહીથી પ્રતિબંધ દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.